Saturday, April 19, 2014

‘તાપ’ હૃદય અને મગજને દઝાડે છે... :નાટક રિવ્યૂ


સ્ત્રીની લાચારી અને તેના પરના અત્યાચારોની દાસ્તાન રજૂ કરતું નાટક ‘તાપ’ દર્શકોના મગજ અને હૃદયને દઝાડી દે તેવું છે. નાટકના ઘણા સીનમાં પ્રેક્ષકોના હૃદયને રીતસર ઝાળ લાગે… સંવેદનશીલ પ્રેક્ષકનું હૃદય કદાચ નાટકના દાઝી ગયેલા પાત્રની જેમ દાઝવા પણ લાગે… પરંતુ સમાજમાં જોવા મળતી આ હકીકત છે, અને એનાથી મોઢું ફેરવી શકાય નહીં. કોઈને એવો પણ સવાલ થાય કે, સ્ત્રી પરના અત્યાચારોનેઆત્યંતિક રીતે રજૂ કરાયા છે કે શું???
પણ સત્ય ઘટના પર આધારિત આ નાટકના પાત્રો જેમના પરથી સર્જવામાં આવ્યા છે, એ સ્ત્રી પાત્રો જ્યારે બર્બરતાની ઘડીમાંથી પસાર થઈ હશે, એ સમયે અને એ પછી તેમને કેટલો ‘તાપ’ સહન કરવો પડ્યો હશે? જો કે બે કલાકના ‘તાપ’માં જ દર્શકોને આટલી ઝાળ લાગતી હોય તો એવી સમાજમાં રહેલી એવી લાચાર સ્ત્રીઓનું શું, જેમના પર અત્યાચાર થયા હતા અને આજે પણ થઈ રહ્યા છે??? દિલ્હી ગેંગરેપ અને મુંબઈ સામુહિક બળાત્કારની ઘટનાઓ જૂની નથી…

સ્ત્રીના શરીરને રમવાની ઢીંગલીની જેવું ગણતા હેવાનોનો ત્રાસ આજે પણ ઓછો નથી. એમાંયે ઉત્તરપ્રદેશના કદાવર નેતા અને એક સમયના મુખ્યમંત્રી, હાલના મુખ્યમંત્રીના પિતા મુલાયમસિંહ યાદવ બળાત્કાર જેવી ઘટના અંગે એવું નિવેદન કરે કે, બાળકો છે, ભૂલ થઈ જાય, એમાં ફાંસી આપી દેવાની??? પોતાની પાર્ટીને ‘સમાજવાદી’ ગણાવતા આ નેતા કેવા સમાજનું નિર્માણ કરવા માગે છે? અને આવા નિવેદનો છતાં તેનો વાળ પણ વાંકો નથી થતો ત્યારે આ દેશનો કાયદો અને વ્યવસ્થા પણ અત્યારચારનો ભોગ બનેલી એ સ્ત્રી જેવાં જ લાચાર, નિ:સહાય અને કમજોર જણાય છે, જે પોતાના પરના અત્યાચારીને ભાંડવા સિવાય કશું કરી શકતી નથી.
સ્ત્રી સશક્તિકરણના નામે માત્ર નેતાઓનું અને મહિલા નેતાઓનું સશક્તિકરણ થાય છે, વોટબેન્ક મજબૂત બને છે, પણ છેવાડાની સ્ત્રીઓ તો આજે પણ કમજોર હોવાનો અહેસાસ કરી રહી છે.
નૈષધ પુરાણી લિખિત, દિગ્દર્શિત નાટક ‘તાપ’ હૃદયને ઝાળ લગાવવા સાથે એક સંદેશ પણ આપતું જાય છે. નાટકના કેટલાક સંવાદો હૃદયને હચમચાવી જાય છે… બળાત્કાર વિશે પોલીસ આટલું બધું કેમ પૂછે છે? જ્યારે કોઈ મદદ ન કરવાની હોય છતાં પણ? મદદ ન કરવા માટે પણ આટલું બધું પૂછવાનું???
… અને આનંદ એ વાતનો છે કે, આ નાટક સ્ટેજથી દૂર થયેલા કલાકારને પુન: સ્ટેજ પર લાવવા નિમિત્ત બન્યું છે. એક કલાકાર ૧૯ વર્ષ પછી અને એક કલાકાર ૧૦ વર્ષ પછી સ્ટેજ પર આવ્યા છે. આ સાથે શુભકામનાઓ પાઠવું છું કે, હવે આ કલાકારો નિયમિત રીતે સ્ટેજ પરફોર્મ કરતા રહે. નાટકની વાત કરીએ તો, કલાકારોએ પાત્રમાં જીવ રેડી દીધો છે, લાઇટ-સાઉન્ડ-મ્યુઝિક નાટકની સંવેદનશીલતાને વધુ ઘેરી બનાવે છે, ગુડ વર્ક.
આશા રાખું છું કે, બીજું નાટક પણ જલ્દી નિહાળવા મળે. આભાર નૈષધ.
લિ. સંદીપ કાનાણી

No comments:

ધૂળેટી

  ઘડીક લીધો પીળો રંગ ને ઘડીક રમ્યા લાલ, રંગ ગેરુવો અમ માંહ્યલે, એ જ સાચો ગુલાલ - ©સંદીપ_કાનાણી (તા.૧૪-૦૩-૨૫)